ગાંધીનગર- Gujarat Water Campaign ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં પાણીના સંગ્રહનો વ્યાપ વધારવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના ઉમદા આશય સાથે ચલાવવામાં આવતું ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ જનભાગીદારી થકી એક જ્વલંત લોકઆંદોલન બની ચૂક્યું છે.
પાણી બચાવવા જાગૃતિ
આ વર્ષે ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ થકી જળ સંગ્રહશક્તિની ક્ષમતામાં 20,789 લાખ ઘન ફૂટનો વધારો થયો છે.(Gujarat Water Campaign) જ્યારે છેલ્લા 8 વર્ષમાં રાજ્યની જળ સંગ્રહશક્તિમાં રેકોર્ડબ્રેક કુલ 1,38,039 લાખ ઘન ફૂટ જેટલો વધારો નોંધાયો છે. પાણી બચાવવા અને તેનો બગાડ અટકાવવા માટે લોકમાનસમાં જાગૃતિ આવે તેવી દીર્ઘદ્રષ્ટિ સાથે છેલ્લા 8 વર્ષથી આ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી રહ્યું છે તેમ,જળ સંપત્તિ અને પાણી પુરવઠાપ્રધાન ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.
અનેકગણી રોજગારી ઉભી થઈ
જળ સંપત્તિ પ્રધાન પટેલે વધુમાં કહ્યું હતું કે, આ વર્ષે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના(Gujarat CM Bhupendra Patel) હસ્તે તારીખ 23 ફેબ્રુઆરી, 2026ના રોજ ગાંધીનગરથી આ અભિયાનનો રાજ્યવ્યાપી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં મે 2026 સુધીમાં જુદા જુદા વિભાગોના સંકલનથી કુલ 13,315 કામો સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત પરંપરાગત જળ સ્ત્રોતોના નવીનીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમાં ચાલુ વર્ષે મુખ્યત્વે તળાવો ઊંડા કરવાના 2,450 કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના 3,661 કામો તથા ચેકડેમ રીપેરીંગના 1,160 કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 626 કિ.મી. લંબાઈમાં નહેરો તથા 1,277 કિ.મી. લંબાઈમાં કાંસોની સાફસફાઈ કરવામાં આવી છે. આ કામો થકી જળ સંગ્રહશક્તિની ક્ષમતામાં 20,789 લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો છે. આ સાથે શ્રમિકો માટે અંદાજે 2.30 લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થઈ છે.
છ મુખ્ય વિભાગોની કામગીરી
Gujarat Water Campaign આ અભિયાનને સફળ બનાવવા માટે ગુજરાત સરકારના 6 મુખ્ય વિભાગો – જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગ, વન અને પર્યાવરણ, શહેરી વિકાસ , ગ્રામ વિકાસ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. એકસાથે મળીને કામગીરી કરી રહ્યા છે. આ કામોની મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ છે, જેમાં લોકભાગીદારી, મનરેગા યોજના અને વિભાગીય રીતે પૂર્ણ કરવામાં આવે છે.
જળ સંગ્રહશક્તિ કેવી રીતે વધી?
અભિયાનની સિદ્ધિઓ જણાવતાં પ્રધાન ઈશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં લાંબાગાળાના આયોજન અને સખત પરિશ્રમના પરિણામે છેલ્લા 8 વર્ષમાં કુલ 1,23,635 કામો હાથ ધરવામાં આવ્યા હતા. જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવા તેમજ નવા તળાવોના 39,770 કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના 26,873 કામો તથા ચેકડેમ રીપેરીંગના 7,810 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.(Gujarat Water Campaign) આ ઉપરાંત કુલ 80,793 કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફસફાઇના કામો હાથ ધરવામાં કરવામાં આવ્યા હતા, જેના થકી જળ સંગ્રહશક્તિ ક્ષમતામાં કુલ 1,38,039 લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો છે. જેમાં 206.73 લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થઈ છે.
જૂનમાં સૌથી ઓછો વરસાદ
હાલ ગુજરાતમાં ચોમાસું ખેંચાયું છે. દક્ષિણ ભારતમાં છૂટોછવાયો વરસાદ આવ્યો છે. પણ 29 જૂન સુધી હજી સત્તાવાર રીતે ચોમાસું સક્રિય થયું નથી. જેથી ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ વર્ષે જૂનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હવે જ્યારે વરસાદ આવે ત્યારે આપણે જળસંગ્રહ કેમ થાય તે અંગે વિચારવાનો સમય પાકી ગયો છે.

