ગાંધીનગર- Gujarat Monsoon 2026 ગુજરાતમાં 24 સપ્ટેમ્બર સુધી વરસાદ આવવાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન આજ રોજ સવારે 6 કલાક સુધીમાં કુલ એકંદર 31 ઇંચ વરસાદ નોંધાયો છે, જે રાજ્યના મોસમના સરેરાશ વરસાદની સામે 88 ટકા જેટલો થાય છે.
શ્રાવણ મહિનો કોરોધાકોર
શ્રાવણ મહિનો કોરો ધાકોર ગયો હતો. ખેડૂતો ખૂબ મોટી ચિંતામાં હતા, કે જો વરસાદ નહી આવે તો વાવણી બળી જશે. પણ ભાદરવો મહિનો બેસતાની સાથે જ વરસાદ આવ્યો છે અને ખેડૂતોની ચિંતા હળવી થઈ છે.
ઝોન વાઈઝ વરસાદ
ઝોન વાઇઝ સ્થિતિ જોતાં, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113.52 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 88.57 ટકા, ઉત્તર ગુજરાતમાં 70.33 ટકા, સૌરાષ્ટ્રમાં 67.86 ટકા અને કચ્છ ઝોનમાં 57.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકની સ્થિતિ
Gujarat Monsoon 2026 છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના 31 જિલ્લાના 224 તાલુકાઓમાં સરેરાશ 17.20 મિમિ વરસાદ થયો છે. જેમાં અરવલ્લીના મેઘરજ અને ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં સૌથી વધુ 03 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 2.87 ઇંચ, સાબરકાંઠાના તલોદમાં 2.52 ઇંચ અને નર્મદાના દેડિયાપાડામાં 2.40 ઇંચ વરસાદ વરસ્યો છે.
જળાશયો અને ડેમની સ્થિતિ
સરદાર સરોવર નર્મદા ડેમ કુલ સંગ્રહ ક્ષમતાના 96 ટકા જેટલો ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 70.49 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં હાલ 30 ડેમ 100 ટકા ભરાયેલા છે, 38 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા, 40 ડેમ 25 થી 50 ટકા અને 73 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે. જળસંગ્રહના આધારે 45 ડેમ હાઇ એલર્ટ, 13 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.
સ્થળાંતર, રેસ્ક્યૂ અને રાહત કામગીરી
Gujarat Monsoon 2026 ચોમાસાની શરૂઆતથી તારીખ 01 જૂન, 2026 થી 18 સપ્ટેમ્બર, 2026 દરમિયાન રાજ્યમાં કુલ 85,456 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે 9,822 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ નવસારીમાંથી 29,198, વલસાડમાંથી 22,214 અને સુરતમાંથી 17,992 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યમાં NDRFની 10 ટીમો અને SDRFની 28 પ્લાટૂન તૈનાત રાખવામાં આવી છે, જ્યારે 4 NDRF અને 5 SDRFની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ આવે તેવું અનુમાન છે. તેમજ હવામાન વિભાગે ચોમાસાની શરૂઆતમાં આગાહી કરી હતી કે 90થી 95 ટકા વરસાદ રહેશે. અલનીનોની અસર ગુજરાત પર પણ જોવા મળશે. હવામાન વિભાગના અનુમાનથી નીચે ગુજરાતમાં કુલ 88 ટકા વરસાદ નોંધાયો છે. જો કે કેટલાક હવામાન શાસ્ત્રીઓના કહેવા પ્રમાણે નવરાત્રિ સુધી વરસાદ આવી શકે છે.
આ પણ વાંચો…

