Somnath Amrit Parv 2026: તીર્થ સ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે: PM નરેન્દ્ર મોદી

by Gujarati biz news
Somnath Amrit Parv 2026

Somnath Amrit Parv 2026વેરાવળ- Somnath Amrit Parv 2026 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે 11 મે, 2026ને સોમવારે ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા 1000 વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણના 75 વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ 2026’માં આજે સહભાગી થયા હતા.

ભગવાન સદાશિવની જ લીલા

આ તકે સોમનાથના સદભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, સૃષ્ટિનું જેનાથી સર્જન થાય છે અને જેનામાં લય થાય છે, આજે આપણે તેના ધામના પુન:નિર્માણનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. હળાહળનું પાન કરીને જે નીલકંઠ કહેવાયાં, આજે આપણે તેમના શરણમાં સોમનાથ અમૃત મહોત્સવ(Somnath Amrit Parv 2026) મનાવી રહ્યા છીએ તે ભગવાન સદાશિવની જ લીલા છે.

પ્રાચીન ગૌરવને પુન: હાંસલ કર્યુ

તેમણે કહ્યું હતું કે, 75 વર્ષ પહેલા આજના દિવસે થયેલી સોમનાથની પુન: સ્થાપના એ સાધારણ અવસર ન હતો. 1947માં દેશ આઝાદ થયો પણ 1951માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. સરદાર વલ્લભભાઈ પટેલે 500થી વધુ રજવાડાઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુન: નિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે, ભારત માત્ર આઝાદ જ નથી થયું પણ પ્રાચીન ગૌરવને પુન: હાંસલ કરવાના માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે.

હજારો વર્ષોની આધ્યાત્મિક ચેતના

વડાપ્રધાને કહ્યું હતું કે, આજે Somnath Amrit Parv 2026 75 વર્ષની ઉજવણીના આ અવસરે જોવા મળે છે કે, વિનાશમાં સર્જનનો સંકલ્પ સોમનાથ મંદિરે ચરિતાર્થ કર્યો છે. અસત્ય પર સત્યનો વિજય પ્રભાસ ક્ષેત્રે વારંવાર કર્યો છે. મંદિર પુન: નિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રના કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. સોમનાથનો અર્થ આપતાં તેમણે કહ્યું હતું કે, જેના નામમાં જ સોમ એટલે કે અમૃત છે, તેને કોણ નષ્ટ કરી શકે. આ ભારતનું એવું અવિનાશી સ્વરૂપ છે, જેને સદીઓના કુત્સિત પ્રયાસો હરાવી, મિટાવી શક્યા નથી.

ભારતની પ્રેરણાનો મહોત્સવ

સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, સોમનાથ અમૃત મહોત્સવ(Somnath Amrit Parv 2026) એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા 1,000 વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ બની રહેશે.

11 મે, 1998ના રોજ પોખરણ પરમાણુ પરીક્ષણ

પોખરણ પરીક્ષણ અને ઓપરેશન શિવ શક્તિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 11 મે, 1998ના રોજ પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ કરીને ભારતના વૈજ્ઞાનિકોએ દેશના સામર્થ્ય અને ક્ષમતાને દુનિયા સમક્ષ ઉજાગર કરી હતી. એ સમયે દુનિયાભરની શક્તિઓ ભારતને હરાવવા મેદાનમાં ઉતરી હતી અને અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. પરંતુ એ સમયે વડાપ્રધાન અટલજીના નેતૃત્વ હેઠળ ભારત દેશ ઝૂક્યો નહતો અને દુનિયાને બતાવ્યું હતું કે ભારતીયો નોખી માટીના બનેલા છે. 11 મે, 1998ના પરીક્ષણના બે દિવસ પછી 13 મેના રોજ ભારતે ફરી બે પરમાણુ પરીક્ષણ કર્યા, ત્યારે દુનિયાને સમજાઈ ગયું હતું કે, ભારતની રાજશક્તિ કેટલી અટલ છે. અટલજીના નેતૃત્વમાં ભારતે બતાવ્યું કે, દુનિયાની કોઈ શક્તિ ભારતને ઝુકાવી કે દબાણ હેઠળ લાવી નહીં શકે.

શિવ સાથે શક્તિની આરાધના

આ પરમાણુ પરીક્ષણને ઓપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. શિવ સાથે શક્તિની આરાધના એ આપણી પરંપરા છે. દેશમાં ચંદ્રયાન મિશન વખતે જ્યાં રોવર લેન્ડ થયું ત્યાં તેને આપણે શિવશક્તિ પોઇન્ટ નામ આપ્યું છે. આ તકે તેમણે ઓપરેશન શક્તિની વર્ષગાંઠની શુભકામનાઓ પાઠવી હતી.

સ્વતંત્ર ભારતની ચેતનાનો ઉદઘોષ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીસોમનાથ મંદિરના નિર્માણના 75 વર્ષ નિમિત્તે યોજાયેલા અમૃત પર્વ(Somnath Amrit Parv 2026) પ્રસંગે હજારોની જન મેદનીને સંબોધતા કહ્યું કે, 1947માં દેશ આઝાદ થયો પછી 1951માં ભારતની સાંસ્કૃતિક વિરાસત સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ સ્વતંત્ર ભારતની ચેતનાનો ઉદઘોષ હતો. તેમણે ગૌરવભેર કહ્યું કે, સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈપણ રાષ્ટ્ર લાંબા સમય સુધી ત્યારે જ મજબૂત રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જોડાયેલું રહે. સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયું અને દેશે સદીઓના કલંકને ધોઈ નાખ્યો તેમ જણાવી આ 75 વર્ષની યાત્રાને નવી ઊંચાઈ સોમનાથ દાદાના આશીર્વાદથી આપવી છે તેવો સંકલ્પ પણ કર્યો હતો.

સાંસ્કૃતિક ગૌરવ યાત્રા

વડાપ્રધાને ભારતની સાંસ્કૃતિક વિરાસતોને ગૌરવશાળી દર્શાવીને ભારતની સાંસ્કૃતિક એકતા અને સાંસ્કૃતિક વૈભવને ઉજાગર કરતા કહ્યું કે, આ સાંસ્કૃતિક ગૌરવ યાત્રાને અનેક વીર સપૂતો અને રાજા મહારાજાઓએ સંરક્ષિત કરી છે ત્યારે નવી પેઢીને જવાબદારીથી આ વિરાસતોની મહાનતા અને ભવ્યતાના સંરક્ષણથી જાગૃત કરવાની છે અને તેમને મહાન વારસો સોંપવાનો છે.

શિવ તો સર્વાત્મા છે, શક્તિ દાતા શિવ શાશ્વત

વડાપ્રધાને કહ્યું કે, સોમનાથ પર આક્રમણ કરનારા સોમનાથને માત્ર એક ભૌતિક માળખું માનતા હતા, જેટલી વાર સોમનાથ પર આક્રમણ થયું તેટલી વાર સોમનાથનું વધુને વધુ દિવ્યતાથી પુનઃનિર્માણ થતું ગયું. આ આક્રાન્તાઓ ભારતનું વૈચારિક સામર્થ્ય જાણતા ન હતા. આપણે શરીરને નશ્વર માનીએ છીએ અને આત્મા એ અવિનાશી માનીએ છીએ. શિવ તો સર્વાત્મા છે, શક્તિ દાતા શિવ શાશ્વત છે એટલે જ હજારો વર્ષ બાદ પણ અતૂટ આસ્થા વચ્ચે સોમનાથ મંદિર આજે અડીખમ ઊભું છે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

તીર્થ સ્થળો સાથે હજારો લોકોનું જીવન જોડાયું છે

છેલ્લા એક દસકાથી તેમને ભારતના તીર્થસ્થાનોનો વિકાસ કરવાનો મોકો મળ્યો છે. ભારતની સાંસ્કૃતિક વિરાસતોના પુનઃ જાગરણ અને વિકાસ ભી વિરાસત ભી પર પ્રકાશ પાડતા તેઓએ કાશી વિશ્વનાથ, કેદારનાથ, અયોધ્યા અને સોમનાથ સહિતની વિરાસતોના વિકાસ અને ગૌરવ જણાવી આ તીર્થસ્થળોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ પણ થઈ રહી છે તેનો ઉલ્લેખ કરી પ્રવાસન અને તીર્થ સ્થળો સાથે હજારો લોકોનું જીવન પણ જોડાયેલું છે તેમ જણાવ્યું હતું.

અનેક વિભૂતિઓનું યોગદાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન છે. તેઓએ ભીમદેવ પ્રથમ, રાજા ભોજ, કુમારપાળ, રા ખેંગાર સહિતનાઓનો ઉલ્લેખ કરી સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને તેમની સાથે કનૈયાલાલ મુનશી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદજી, જામ સાહેબને પણ આ અવસરે યાદ કરી તેમના યોગદાનને પ્રેરણાદાયી ગણાવ્યું હતું.

ભારતની પરંપરાઓ

સોમનાથ માટે શહાદત વહોરનાર વીર હમીરસિંહ ગોહિલ અને વેગડા ભીલને યાદ કરી સોમનાથ મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર અહલ્યા બાઈ હોલકર, વડોદરાના ગાયકવાડ સહિતની વિભૂતિઓએ સોમનાથ દાદાની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું. આજે વિશ્વ પ્રાકૃતિક જીવનશૈલી તરફ પાછું વળી રહ્યું છે ત્યારે, ભારતની પરંપરાઓમાં નદીઓ, પર્વતો અને વૃક્ષોને પવિત્રતાના ભાવથી જોવામાં આવે છે. પ્રકૃતિ પણ ઈશ્વર સ્વરૂપ છે તેમ જણાવીને પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણીનો પણ સંદેશ તેમણે આ તકે તેમણે આપ્યો હતો.

ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ

આ તકે સ્વાગત સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતિક છે. સોમનાથ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી આ મંદિર વધુ તેજસ્વીતા સાથે ફરી ઊભું થયુ છે. લોહપુરૂષ સરદાર પટેલ સાહેબે ભગવાન સોમનાથના આ પૂરાતન મંદિરની ભવ્યતા સાથે તેના પુન: નિર્માણનો કરેલો સંકલ્પ વર્ષ 1951ની 11મી મેએ પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે.(Somnath Amrit Parv 2026)

75 રૂપિયાના સ્મારક સિક્કાનું વિમોચન

આ અવસરે વડાપ્રધાનના હસ્તે સ્મારક ડાક ટિકિટ અને 75 રૂપિયાના સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ કુંભાભિષેક કર્યો

જામનગરથી સોમનાથ આવ્યા બાદ વડાપ્રધાને રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. બાદમાં સોમનાથ મંદિરમાં મહાદેવની મહાપુજા કરીને કુંભાભિષેક કર્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, રાજ્યના મંત્રીઓ સર્વ અર્જુનભાઈ મોઢવાડીયા, ડો.પ્રધ્યુમનભાઈ વાજા, કૌશિકભાઈ વેકરીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જે. ડી. પરમાર, પી.કે. લહેરી, હર્ષવર્ધન નેઓટીયા, વિષદભાઈ મફતલાલ, ધારાસભ્યો ભગાભાઈ બારડ તથા કાળુભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

You will also like

Leave a Comment