
સનાતન હિંદુ ધર્મ પરંપરા અનુસાર દિવાળી બાદ નૂતન વર્ષનો પ્રારંભ થાય છે. તે મુજબ આજે 22 ઓકટોબર, 2025ને બુધવારે બેસતુ વર્ષ હતું. સૌ ભાઈઓ, બહેનો અબાલવૃદ્ધો એક બીજાને મળીને નવા વર્ષના રામ રામ, સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન પાઠવે છે. તેમજ મંદિરોમાં ભગવાન સમક્ષ અન્નકૂટનું આયોજન કરાય છે.
નવા વર્ષની વહેલી સવારથી ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. સ્વાદ, સુગંધ અને પ્રભુપ્રેમથી તરબોળ અનેકવિધ વાનગીઓનો રસથાળ ભગવાનને ધરાવીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને ભક્તો ધન્યતા અનુભવે છે અને અન્નકૂટના દર્શન કરવા ભક્તો ખૂબ મોટી સંખ્યામાં મંદિરમાં ઉમટી પડે છે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટની ઉજવણીમાં લાખો ભક્તો, સહયોગીઓ સામેલ થયા હતા. આજે નૂતન વર્ષે અદાવાદના શાહીબાગમાં આવેલ BAPS (બીએપીએસ) સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિભાવપૂર્વક સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200 થી વધુ વાનગીઓના મનોહર અન્નકૂટના દર્શન કરી સૌએ ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો.

પૂજ્ય સંતો ઉપરાંત સમગ્ર અમદાવાદમાંથી સેંકડો યુવકો, પુરુષ હરિભક્તો ઉપરાંત 1500 કરતાં વધુ યુવતીઓ અને મહિલા હરિભક્તો દ્વારા છેલ્લાં એક મહિનામાં નિયમિતરૂપે દિવાળી અને અન્નકૂટને લગતી અનેકવિધ સેવાઓમાં ભક્તિસભર શ્રમદાન કરવામાં આવ્યું હતું.
અન્નકૂટ પ્રસાદનું વિતરણ ભક્તો અને દર્શનાર્થીઓની સાથે શહેરના અનેક મંદિરોમાં તથા અનેક ગરીબ, જરૂરિયાતમંદ લોકોમાં કરવામાં આવશે.
અન્નકૂટની સાથે સાથે સમગ્ર વિશ્વમાં સનાતન સંસ્કૃતિના અજવાળાં પ્રસરાવી રહેલાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વૈશ્વિક કાર્યને ઉજાગર કરતી ‘ પ્રમુખસ્વામીના પગલે પગલે ‘ પ્રદર્શનીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો સૌ અન્નકૂટ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.
Top Trending News
તે સાથે અમદાવાદના અનેક હિન્દુ મંદિરોમાં બેસતા વર્ષના દિવસે ભાવિક ભક્તોએ ભગવાનના દર્શન કરીને દિવસની શરૂઆત કરી હતી. તેમજ સૌ સ્નેહીજનોને જય શ્રી કૃષ્ણ, સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, રામ રામ કહીને શુભેચ્છાની આપ લે કરી હતી. તે સાથે એક બીજાનું મ્હો મીઠું કરાવીને નવા વર્ષને વધાવ્યું હતું.