Gujarat Assembly 2026: રાજ્યના GST કાયદામાં સુધારા માટેનું વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર

by Gujarati biz news
Gujarat Assembly 2026

Gujarat Assembly 2026ગાંધીનગર- Gujarat Assembly 2026 ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ GST કાઉન્સિલની 56મી બેઠકની ભલામણોના આધારે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓ સાથે સુસંગતતા જાળવી ગુજરાત રાજ્યના GST સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જેને વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.

2017થી કર વ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન

GST સુધારા વિધેયકની જરૂરિયાત અંગે નાણાપ્રધાને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના(PM Narendra Modi) નેતૃત્વમાં ‘વન નેશન, વન ટેક્સ’ના સંકલ્પ સાથે 01 જુલાઈ, 2017થી જીએસટી કાયદો અમલમાં આવ્યો. જેનાથી દેશની અપ્રત્યક્ષ કર વ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે.

99.6 ટકા રિટર્ન નિયમિત

Gujarat Assembly 2026 માં કનુભાઈ દેસાઈએ કહ્યું કે જીએસટી કાયદામાં કરવામાં આવેલા સરળીકરણના પરિણામે ગત નાણાકીય વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યમાં 99.6 ટકા રિટર્ન નિયમિત સમયમર્યાદામાં ભરાયું છે. જે રાષ્ટ્રીય સરેરાશથી સૌથી વધુ છે. ગુજરાત રાજ્યના કરદાતાઓ સમયસર રિટર્ન ભરવાની બાબતમાં સમગ્ર દેશમાં છેલ્લાં 05 વર્ષથી પ્રથમ ક્રમે છે.

સંપૂર્ણપણે મુક્તિ

તેમણે જણાવ્યું કે જીએસટી 2.0 હેઠળ વેરાના દરમાં સુધારાઓ થકી સામાન્ય નાગરિકોને રાહત આપવામાં આવી છે. કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર માટે વપરાતી દવાઓ, વ્યક્તિગત મેડિક્લેમ અને વ્યક્તિગત જીવન વીમા પ્રીમિયમને જીએસટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.

વેરાના દર ઘટાડ્યા

જ્યારે બટર, ઘી, સાબુ, શેમ્પૂ, ખેતી માટેના ટ્રેક્ટર અને તેના પાર્ટ્સ, બિયારણ સાધનો, અન્ય મશીનરીઓ, સ્ટેશનરી, વોટર કલર તેમજ રમત-ગમતના સાધનો વગેરે પર વેરાના દરો ઘટાડવામાં આવ્યા છે.

આવકનો વૃદ્ધિ દર જળવાયો

વેરાના દરોમાં મુક્તિ આપવા અને ઘટાડો કરવા છતાં રાજ્યની આવકનો વૃદ્ધિ દર જળવાઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં, ગુજરાત દેશના ‘ગ્રોથ એન્જિન’ તરીકે વધુ મજબૂત બન્યું છે અને ‘વિકસિત ભારત@2047’ માટે ‘વિકસિત ગુજરાત’ના વિઝનને સાકાર કરવા મક્કમ બન્યું છે.

આ સુધારા વિધેયકની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ દર્શાવવામાં આવી છે:

વેચાણ પછીના ડિસ્કાઉન્ટને વેરાકીય રાહત:

કલમ 15(3)(b)માં સુધારા દ્વારા વેચાણ પછીના ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરવામાં આવી છે. વેચનાર દ્વારા ક્રેડિટ નોટ આપવામાં આવે અને ખરીદનાર દ્વારા તે ડિસ્કાઉન્ટ પર મેળવેલી વેરા શાખ કલમ 34 મુજબ રિવર્સ કરવામાં આવે તો વેચાણ કરનાર ડિસ્કાઉન્ટને વેચાણ મૂલ્યમાંથી બાદ કરી વેરાકીય જવાબદારીમાં ઘટાડાનો લાભ મેળવી શકશે. આનાથી અનુપાલનનો બોજ ઘટશે અને અંતિમ ઉપભોક્તાને લાભ મળશે.

ક્રેડિટ નોટ અંગે સ્પષ્ટતા:

કલમ 15(3)(b)ના સુધારાને અનુષંગિક સુધારો કલમ 34(1)માં પણ સૂચવવામાં આવ્યો છે. જેથી વેચાણ પછી આપવામાં આવેલી ડિસ્કાઉન્ટ માટે ક્રેડિટ નોટ ઇસ્યૂ કરી શકાશે.

ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર માટે ઝડપી રિફંડ:

હાલમાં કલમ 54 હેઠળ રિફંડની અરજીના 60 દિવસની અંદર રિફંડ ચૂકવવાની જોગવાઈ છે. સુધારા દ્વારા ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને કારણે ઉપસ્થિત થતા રિફંડ માટે 90 ટકા પ્રોવિઝનલ રિફંડ દિન-7માં આપવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે. જેનાથી ઉદ્યોગકારોનું રોકડ ભંડોળ (વર્કિંગ કેપિટલ) સુદૃઢ બનશે.

નિકાસના માલના રિફંડ માટે રૂપિયા 1,000ની મર્યાદા દૂર:

હાલમાં રિફંડની રકમ રૂપિયા 1,000થી ઓછી હોય તો રિફંડ મળવા પાત્ર નથી. વિધેયક દ્વારા કલમ-54માં સુધારો કરીને વેરાની ચુકવણી સાથે નિકાસ કરેલા માલના રિફંડના દાવાઓ ઉપર રૂપિયા 1,000ની મર્યાદા દૂર કરી રિફંડ આપવામાં આવશે.

પારદર્શક અમલીકરણ

આમ, રાજ્યમાં જીએસટી કાયદાના વધુ અસરકારક અને પારદર્શક અમલીકરણ માટેના આ સુધારા રાજ્યના વેપાર, ઉદ્યોગ અને વિકાસને નવી ગતિ પ્રદાન કરશે તેવો વિશ્વાસ નાણામંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…

Gujarat Tourism Home Stay: શું આપને પ્રવાસન સ્થળ પર હોમ સ્ટે તરીકે નોંધણી કરાવવી છે?

You will also like

Leave a Comment